ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું નિર્માણ કરાયું છે.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે તા. 5મી જૂનના રોજ ગાંધીનગર સ્થિત નવનિર્મિત આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઇ શકે તે માટે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર કરાયું છે.આરોગ્ય વિભાગની અલગ-અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્યલક્ષી કાર્યક્રમો/સેવાઓને સંકલિત રીતે એક જ સ્થાનેથી આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી નિયમિત ફોલો-અપ, નિયત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમીક્ષા અને જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલ લાભાર્થીઓ સુધી પહોંચવા ત્વરિત ફિડ-બેકનું તૈયાર કરાયેલ માળખું અસરકારક સાબિત થશે.
ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સબંધી કોઈ પણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર 104 કાર્યરત કરાયો છે તથા PMJAY હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.આ આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં થનારી કામગીરી ની વાત કરીએ તો, આરોગ્ય વિભાગ દ્વારા તમામ આરોગ્યલક્ષી પ્રોગ્રામોના ડેટાબેઝના ડેશ બોર્ડને સંકલિત કરી એક જ કેન્દ્ર ખાતે મોનિટરિંગ કરી શકશે. આરોગ્ય વિભાગના મહત્ત્વના પ્રોગ્રામોમાં જિલ્લા અધિકારીઓ, કર્મચારીઓ વગેરેને ત્વરિત ફીડ-બેક આપી આરોગ્ય સેવાઓના અમલીકરણમાં રહી ગયેલ કામગીરીને ઓળખીને ઝડપી ગુણાત્મક સુધારો કરી શકાય તે માટે સરળતાથી સંવાદ સાધી શકાય તે માટેની ઓડિયો-વિઝ્યુલ્સ વ્યવસ્થા, વિવિધ અમલીકરણ થતી સેવાઓના લાભાર્થીઓના ડિજિટલ ડેટા અને ડેશબોર્ડ સાથેની સ્ટેટ ઓફ આર્ટની વ્યવસ્થા કરાઈ છે.