કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલાં ખેડૂત પ્રદર્શનકારીઓ દ્વારા જંતર-મંતર પર કિસાન સંસદની શરૂઆત કરવામાં આવી છે. કિસાન સંગઠનો અનુસાર, જ્યાં સુધી સંસદનું ચોમાસું સત્ર ચાલુ રહેશે, તેઓ રોજ અહીં આવી કિસાન સંસદ લગાવશે.
ગુરુવારે સવારે સિંધુ, ટિકરી અને ગાજીપુર બોર્ડરથી બસો ભરીને ખેડૂતો જંતર-મંતર પહોંચ્યા, પરંતુ દિલ્હી પોલીસ દ્વારા માત્ર ૨૦૦ ખેડૂતોને જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી આપી છે. સવારે ૧૧થી સાંજના ૫ વાગ્યા સુધી આ ખેડૂતો અહીં પ્રદર્શન કરી શકશે.
જંતર-મંતર પહોંચ્યા બાદ કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમે અહીં અમારો અવાજ ઉઠાવીશું. વિપક્ષે ગૃહમાં અમારો અવાજ બનવો જોઇએ. જંતર મંતર પર કિસાનોની સંસદમાં પંજાબી ફિલ્મ અભિનેત્રી સોનિયા માન પણ પહોંચી હતી. તેણે કહ્યું કે, અમારી ચળવળ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાવાની છે. સંસદથી લઇને સડક સુધી આ લડાઇ ચાલુ રહેશે.
કિસાન નેતા શિવ કુમાર અનુસાર, કિસાન સંસદમાં ત્રણ સ્પીકર, ત્રણ ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવ્યા છે. દરેકને ૯૦ મિનિટનો સમય મળશે. એક સ્પીકર સાથે એક ડેપ્યુટી હાજર રહેશે.






