ગુજરાતના પાટનગર ગાંધીનગરને ભિખારી મુક્ત શહેર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ શહેરમાં ભિખારીઓનો સર્વે શરૂ કર્યો છે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થળો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારે દેશને ભિખારી મુક્ત બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટમાં દેશના દસ શહેરોને પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન ભિખારીઓને શોધીને તેમને રોજગારી આપવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને ભીખ માંગતા બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સર્વે દરમિયાન ભીખ માંગવા પાછળના કારણો પણ જાણવામાં આવશે. સરકાર ‘સ્માઈલ યોજના’ અંતર્ગત ભિખારીઓનું પુનર્વસન કરશે. તેમના આરોગ્ય અને શિક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ભિખારીઓને તેમની કુશળતા મુજબ પ્રશિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વારાણસીને દેશનું પ્રથમ ભિખારી મુક્ત શહેર બનાવવાની યોજના છે. અહીં ‘વિદ્યાદાનમ’ પ્રોગ્રામ હેઠળ ભિખારીઓને શિક્ષણ અને રોજગાર આપવાની પહેલ કરવામાં આવી છે. વર્ષ 2027 સુધીમાં વારાણસીને સંપૂર્ણપણે ભિખારી મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.