નવા ઇન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવે નવા વર્ષની રાત્રે પેટ્રોલિંગ કરીને આપી સતર્કતાની ઝલક

0
139

ગુજરાત પોલીસ વિભાગમાં નવા વર્ષની શરૂઆત સાથે મોટો ફેરફાર થયો છે. પૂર્વ DGP વિકાસ સહાયની નિવૃત્તિ બાદ 1992 બેચના વરિષ્ઠ IPS અધિકારી ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ રાજ્યના ઇન્ચાર્જ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે કાયદો-વ્યવસ્થાની મજબૂતાઈ દર્શાવતું પગલું ભર્યું અને નવા વર્ષની ઉજવણી વચ્ચે ગાંધીનગરમાં જાતે પેટ્રોલિંગ કર્યું.રાજ્ય સરકારે 31 ડિસેમ્બરની રાત્રે જ ડૉ. રાવને આ જવાબદારી સોંપી હતી. તેઓ હાલમાં સીઆઈડી ક્રાઈમ અને રેલવેના DGP તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તેમની પાસે જેલ વિભાગનો પણ વધારાનો હવાલો હતો. ડૉ. રાવની નિવૃત્તિને હજુ 22 મહિના બાકી છે, જેથી તેઓ કાયમી DGP તરીકે પણ નિમણૂક મેળવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.ચાર્જ સંભાળ્યા બાદ તરત જ ડૉ. રાવે નવા વર્ષની રાત્રે (31 ડિસેમ્બર) ગાંધીનગર શહેરમાં વ્યક્તિગત રીતે પેટ્રોલિંગ કર્યું હતું. તેમણે વિવિધ વિસ્તારોમાં ફરીને પોલીસ બંદોબસ્ત, પેટ્રોલિંગ વાહનો અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. આ પગલું પોલીસ વિભાગની સતર્કતા અને નવા નેતૃત્વની કાર્યક્ષમતા દર્શાવે છે, ખાસ કરીને નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા માટે.

ડૉ. કે.એલ.એન. રાવનો પોલીસ કારકિર્દીમાં લાંબો અનુભવ છે. તેમણે ખેડા, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં એસપી તરીકે, રાજકોટ રેન્જમાં DIG તરીકે અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી છે. તેમણે લાંબા સમય સુધી ગુજરાતના જેલ વિભાગના વડા તરીકે પણ નોંધપાત્ર કામગીરી કરી છે. તેઓ કડક અને કાર્યક્ષમ અધિકારી તરીકે જાણીતા છે.