શિક્ષકો સહિતના તમામ સ્ટાફની રજાના નિયમોમાં મોટા ફેરફાર ,કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે

0
98

વિદેશમાં સ્થાયી થઇ ગયા પછી પણ શાળામાં શિક્ષક તરીકે હાજરી પુરવામાં આવી રહ્યાંના ઘટસ્ફોટથી સરકાર અને શિક્ષણ વિભાગ માટે નીચા જોણું થયું છે. સફાળી જાગેલી સરકારે તપાસના આદેશ પણ આપ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં સતત 3 મહિના કે વધુ વખતથી ગેરહાજર રહેલા 23 શિક્ષકોને નોટિસ ફટકારવાની સાથે આગળની કાર્યવાહીના માર્ગદર્શન માટે વિગતવારનો અહેવાલ રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી અપાયો છે.રાજ્ય આખામાં તંત્ર અને વિભાગની આવા બખડ જંતર ચાલતા રહેવા દેવાની શર્મનાક હરકતના કારણે સરકારે બેકફૂટ પર આવવાની સ્થિતિ સર્જાઇ છે. શાળામાં લાંબી ગેરહાજરી છતાં આવા શિક્ષકોની હકાલપટ્ટી નહીં કરવાના વલણનાં કારણે બેરોજગારોને નોકરીની તક મળતી નહીં હોવાની વાતો પણ યુવાઓ કરી રહ્યાં છે. જોકે મોટાભાગના કિસ્સામાં ગેરહાજર શિક્ષકોના પગાર ચાલુ નહીં હોવાનો તંત્રો દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમની હાજરી પુરાતી હોવાના મુદ્દે જવાબદારીમાંથી છટકી શકાય તેવા બહાના ઉભા કરાઇ રહ્યાં છે. આ બાબત આજકાલની નહીં પરંતુ લાંબા સમયથી ચલાવાઇ રહી છે. હોબાળો થવાના પગલે શિક્ષણમંત્રી પણ તપાસના આદેશ છોડવા મજબુર બન્યા હતાં. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં શહેરમાં 1 સહિત 21 કિસ્સા અને માધ્યમિક વિભાગમાં 2 કિસ્સા ગ્રામ્ય વિસ્તારમાં મળી આવતાં નોટિસ આપવા સાથે કાયદેસરની કાર્યવાહી માટે કવાયત શરૂ કરવામાં આવી છે.