અમૃત સ્નાન અને માઘી પૂર્ણિમા સહિતના મુખ્ય સ્નાન ઉત્સવો પૂર્ણ થયા હોવા છતાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. સતત ભીડને કારણે રવિવારે પણ મહાકુંભમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતાં શહેરના ઘણા રસ્તાઓ પર વાહનો કલાકો સુધી એક જ જગ્યાએ અટવાયેલા રહ્યા હતા. રસ્તા પર વાહનોની લાંબી કતારો એટલી વધી ગઈ હતી કે 15 મિનિટનું અંતર કાપવામાં બેથી અઢી કલાકનો સમય લાગ્યો હતો.
તડકામાં કલાકો સુધી વાહન ઉભું રહેવાને કારણે તેમાં સવાર લોકોની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. ભક્તોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને 17 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી ગ્રામીણ અને શહેરી વિસ્તારોની તમામ સરકારી, સહાયિત અને માન્ય શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે. રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજે 1.36 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. મેળા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 13 જાન્યુઆરીએ મહાકુંભ શરૂ થયા પછી સંગમમાં ડૂબકી લગાવનારા શ્રદ્ધાળુઓની કુલ સંખ્યા 52.83 કરોડને વટાવી ગઈ છે.