સિવિલના ઓપીડીમાં ઓબેસિટી વિભાગનો 500 દર્દીઓએ લાભ લઇ માર્ગદર્શન લીધું…..

0
137

વર્તમાન સમયમાં ભૌત્તિક સુખ સુવિધામાં વધારાની સાથે સાથે જંકફુડ ખાવાનો ક્રેઝ વધી રહ્યો છે. જેને પરિણામે ઓબેસીટીની સમસ્યા ઘરે ઘરે બની રહી છે. ત્યારે ઓબેસીટી અંગે યોગ્ય આરોગ્યલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં ઓબેસીટી એકમ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં અત્યાર સુધીમાં 500 જેટલા દર્દીઓએ કાઉન્સેલીંગનો લાભ લીધો છે. જોકે ડાયાબિટીસ, બીપી, હૃદયરોગની બિમારીને નાથવા માટે ઓબેસીટીને દુર કરવાથી સારૂ પરિણામ મળતું હોવાનું તબિબે જણાવ્યું છે.

આધુનિક સમયમાં ઓબેસીટી એક ગંભીર સમસ્યા દિવસે અને દિવસે બની રહી છે. તેમાં બાળકો, યુવાનો, વડિલો, વૃદ્ધો દરેક લોકો તેનો ભોગ બની રહ્યા છે. ઓબેસીટીની પાછળ નિયમિત કસરતનો અભાવની સાથે સાથે બેઠાડુ જીવનશૈલી કારણભૂત છે. વધુમાં મેદસ્વીતાની પાછળ અનિયમિત આહાર અને આરામ પણ કારણ જવાબદાર છે. ત્યારે ઓબેસીટીને દુર કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓબેસીટી મુક્તિ માટે રાષ્ટ્રવ્યાપી પહેલ વર્તમાન સમયની જરૂરીયાત છે. ત્યારે મેદસ્વીતા અંગે લોકોને આરોગ્યલક્ષી યોગ્ય જાણકારી મળી રહે તે માટે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં ઓબેસીટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તેમાં તબિબ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ઓબેસીટી અંગેનું માર્ગદર્શન આપવાની સાથે સાથે દર્દીઓનું સ્ક્રીનીંગ કરી તેનું વજન તથા ઉંચાઇ પામી તેનો બીએમઆઇ માપવામાં આવી રહ્યો છે. તેમાં 25થી નીચે બીએમઆઇવાળા લોકો તંદુરસ્ત વર્ગમાં આવતા હોય છે. જ્યારે 25થી 30 બીએમઆઇની વચ્ચે આવતા લોકો વધારે વજનવાળા હોવાથી વજનમાં ઘટાડો થાય તે માટે નિયમિત કસરત કરવી તેમજ આહારમાં પરેજી પાળવી સહિતની જાણકારી આપવામાં આવે છે. જ્યારે 35થી વધુ બીએમઆઇવાળા લોકોને અતિ મેદસ્વી કેટેગરીમાં આવતા હોય છે.