ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના રહેણાંક માટે સરકારી આવોસાની ભારે અછત ઉભી થઇ છે તે વચ્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જુના આવાસો જમીનદોસ્ત કરીને રહેણાંક ટાવરો ઉભા કરી રહી છે ત્યારે સે-૭,૨૯,૩૦ બાદ હવે સેક્ટર-૬માં પણ સરકારી ટાવર બનીને તૈયાર થઇ ગયા છે.સેક્ટર-૬માં બી અને સી કક્ષાના ૫૬૦ નવા મકાનો બની ગયા છે પરંતુ મંત્રીનો સમય નહીં મળવાને કારણે આ આવાસોનું લોકાર્પણ કરવામાં આવતું નથી.
પાટનગરના સ્થાપનાકાળથી ઉભા સરકારી આવાસો જર્જરીત થઇ ગયા છે ત્યારે આવા આવાસોનું રીનોવેશન કરવાને બદલે તેને જમીનદોસ્ત કરીને તેના સ્થાને સાતથી દસ માળના રહેણાંક ટાવરો બનાવવાની યોજના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અપનાવી છે. જે અંતર્ગત સે-૭,૨૯ અને સે-૩૦માં રહેણાંક ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા છે. જ્યારે સેક્ટર-૬માં બે-ત્રણ સાઇટ પર રહેણાંક ટાવરો ઉભા કરવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. ખખડધજ ખંડેર થઇ ગયેલા રહેણાંક મકાનો ઉતારી લઇને ત્યાં ટાવરો ઉભા કરવાની કામગીરી લાંબી છે તો બીજીબાજુ રહેવાલાયક પુરતા પ્રમાણમાં મકાનો નહીં હોવાને કારણે કર્મચારીઓનું વેઇટીંગ લીસ્ટ વધતું જ જાય છે.






