હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપોથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી હતી જે બાદ આ પગલુ લેવામાં આવ્યુ છે.લગભગ 11 મહિના પછી, ભારતે કેનેડામાં નવા હાઇ કમિશનરની નિમણૂક કરી છે. સ્પેનમાં ભારતીય રાજદૂત દિનેશ કે. પટનાયકને ઓટાવા મોકલવામાં આવ્યા છે. ભૂતકાળમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં અસહજતા બાદ, તેને સંબંધોમાં સુધારાની નવી શરૂઆત માનવામાં આવી રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં, હાઇ કમિશનર સંજય વર્મા સહિત પાંચ રાજદ્વારીઓને ભારત પાછા બોલાવવામાં આવ્યા હતા. તે જ સમયે, ભારતે કેનેડામાંથી છ રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા હતા.આ સમગ્ર વિવાદ 2023 માં શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી શરૂ થયો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે સમગ્ર વર્ષ સુધી ડિપ્લોમેટિક તણાવ અને અસહજતા જોવા મળી હતી. 8 સપ્ટેમ્બર 2023 ના રોજ, ભૂતપૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડોએ કેનેડિયન સંસદમાં નિવેદન આપ્યું હતું કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારની સંડોવણી હોઈ શકે છે, જેને ભારત સરકારે સંપૂર્ણપણે નકારી કાઢ્યું હતું. આ આરોપો પછી, ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ અસામાન્ય બની ગયા.બંને તરફના મિશનમાં રાજદ્વારી અને અન્ય સ્ટાફમાં કરકસર કરવામાં આવી હતી. ટ્રુડોએ પોતાનો રાજકીય જમીન મજબૂત કરવા માટે ગયા વર્ષે પણ ભારત સામે આવા ગંભીર આરોપો લગાવ્યા હતા. તે દરમિયાન, ભારતીય રાજદ્વારી સંજય વર્માને ‘પર્સન ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે જોડવામાં આવ્યા હતા, જેની ભારતે ખુલ્લેઆમ ટીકા કરી હતી અને આરોપોને વાહિયાત ગણાવ્યા હતા. ત્યારથી દ્વિપક્ષીય સંબંધો પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રુડોના વડાપ્રધાનપદ દરમિયાન, બંને દેશો વચ્ચેના સંબંધો રાજદ્વારી અસહજતા અને ખરાબ તબક્કામાંથી પસાર થયા હતા. તે સમય દરમિયાન, ભારતે હંમેશા કેનેડિયન રાજકીય બંધુત્વ સામે કેનેડામાં અલગતાવાદીઓને આપવામાં આવતી રાજકીય જગ્યાનો મુદ્દો ઉઠાવ્યો છે.






