દેશના ઉત્તરી ભાગોમાં હાલ ભારે વરસાદ છે. સૌથી વધુ પ્રભાવિત રાજ્ય હિમાચલ પ્રદેશ છે. રાજ્યના મુખ્ય પ્રધાન સુખવિંદર સુખુએ કહ્યું હતું કે ‘ભારે વરસાદને કારણે રાજ્યમાં કુલ ૧૭ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. સ્પીતિ અને કુલુ જિલ્લામાં અંદાજે ૩૦૦ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ફસાયા છે. કુદરતના પ્રકોપથી રસ્તાઓ, પાવર ટ્રાન્સફૉર્મર્સ, ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન અને પાણી પુરવઠા યોજનાને ભારે નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તરત રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમ જ અધિકારીઓને વીજળી અને પાણી પુરવઠો તરત શરૂ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.’
સફરજનની મોસમ નજીક આવી રહી છે તેથી સફરજન ઉગાડતા પ્રદેશોમાં વહેલી તકે રસ્તાઓ શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત શ્રીખંડ મહાદેવની યાત્રાને રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે, કારણ કે અહીં છ જણનાં મોત નીપજ્યાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનને ફોન કરીને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી. તેમણે પૂરને કારણે જાનમાલને થયેલા નુકસાન વિશે પૂછપરછ કરી હતી.






