મમતા સરકારના નવા બિલમાં રેપના દોષિતો માટે મૃત્યુદંડની જોગવાઇ…

0
44

મુખ્યમંત્રી મમતા બેનરજી સરકારની મંગળવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કરશે. આ બિલમાં બળાત્કારના દોષિતો માટે મૃત્યુદંડની સજાનો પ્રસ્તાવ સામેલ હશે. જો બળાત્કારીના કૃત્યોના કારણે પીડિતાનું મોત થાય છે કે પછી બેભાન અવસ્થામાં જતી રહે તો આ લાગુ પડશે.

મીડિયા અહેવાલ મુજબ, બિલ ડ્રાફ્ટમાં એવો પણ પ્રસ્તાવ છે કે બળાત્કાર કે પછી સામુહિક બળાત્કારના દોષિત લોકોને તેમના બાકીના જીવન માટે આજીવન જેલની સજા થશે. ‘અપરાજિતા મહિલા અને બાળ વિધેયક’(પશ્ચિમ બંગાળ ગુનાહિત કાયદા અને સંશોધન)-2024 નામના આ નવા કાયદાનો ઉદ્દેશ્ય વર્તમાન કાયદાઓમાં સંશોધન કરવા તથા બળાત્કાર અને જાતીય શોષણના ગુનાઓમાં નવા નિયમ જોડીને મહિલાઓ અને બાળકોને શ્રેષ્ઠત્તમ સુરક્ષા ઉપલબ્ધ કરવાનો છે.

આ બિલમાં ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિત 2023 અને જાતીય શોષણ સામે બાળકોના સંરક્ષણ કાયદો 2012માં સંશોધન કરવાનો પણ પ્રસ્તાવ છે. કારણ કે આ તમામ પશ્ચિમ બંગાળમા લાગુ છે. સંશોધનનો ઉદ્દેશ્ય દંડમાં વધારો કરવા અને મહિલા તથા બાળકોની વિરુદ્ધ ગંભીર ગુનાઓની ઝડપથી તપાસ અને સુનાવણી માટે એક માળખુ તૈયાર કરવાનો છે.