T20 વર્લ્ડ કપ 2026 ને લઈ અમદાવાદ – ગાંધીનગર મેટ્રો સેવાના સમયમાં ફેરફાર

0
115

આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ડે અને નાઈટ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન સેવાઓના સમયમાં વિશેષ ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનાર મેચના દિવસોમાં દર્શકોને સુવિધાજનક અને સરળ મુસાફરી મળી રહે તે માટે મેટ્રો સેવાઓ મધ્યરાત્રિ સુધી વિસ્તૃત રાખવામાં આવશે. આ મેચો 09, 11, 14, 18, 22 અને 26 ફેબ્રુઆરી 2026ના રોજ તથા શક્ય હોય તો 08 માર્ચ 2026ના રોજ યોજાનાર છે. આ તમામ દિવસોમાં મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. સામાન્ય દિવસોમાં અમદાવાદ મેટ્રો સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલે છે, જ્યારે ગાંધીનગર કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર વચ્ચે સેવાઓ સવારે 7:30 થી સાંજે 7:40 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. રાત્રે 11:40 અને 12:10 વાગ્યે બે વધારાની મેટ્રો ટ્રેન ચાલશે
મેચના દિવસોમાં રાત્રિના વિસ્તૃત સમય દરમિયાન વિશેષ મેટ્રો સેવાઓ ચલાવવામાં આવશે. મોટેરા સ્ટેડિયમથી APMC, ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તરફ રાત્રે 10:00 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે 11:40 અને 12:10 વાગ્યે બે વધારાની મેટ્રો ટ્રેનો ચલાવવામાં આવશે.