ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ 11મા દિવસે પણ યથાવત રહી છે. સરકારે કડક વલણ અપનાવતા આઠ જિલ્લામાંથી 2100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. આ ઉપરાંત પાંચ હજારથી વધુ કર્મચારીઓને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યા છે. વિભાગના અલ્ટીમેટમ બાદ કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.મહા સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીની આગેવાનીમાં બુધવારે મધ્યરાત્રિએ આરોગ્ય કર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કર્મચારીઓને આશ્વાસન આપ્યું છે કે હડતાળ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સજા રદ કરાવવામાં આવશે. આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો બે દિવસમાં સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહીં આપે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મહાસંઘે તમામ કર્મચારીઓને હડતાળને સમર્થન આપવા ગાંધીનગર આવવા અપીલ કરી છે. સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓએ મક્કમ રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.