ફૂડકોર્ટમાં દબાણ ખસેડવા પોલીસ બંદોબસ્ત વગર કાર્યવાહી સ્થગિત..!!

0
220

પાટનગરમાં ભયજનક આવાસ ખાલી કરાવવાનો મુદ્દો ચોમાસુ નજીક આવવા સાથે ગંભીર બની રહ્યો છે. જ્યારે ફૂડકોર્ટમાં વેપારીઓએ કરેલા દબાણો માથાનો દુખાવો બન્યાં છે. આ બન્ને વાતને લઇને પાટનગર યોજના વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત મેળવી આપવા માટે દબાણ મામલતદારને પત્ર પાઠવવામાં આવ્યા છે. પરંતુ વ્યવસ્થા ગોઠવાઇ રહી નથી. આ સંજોગોમાં અત્યંત મહત્વની કાયદેસરની કાર્યવાહી અટકી પડી છે.ગત ચોમાસામાં સરકારી આવાસનું છજુ પડવાથી બનેલા માનવ મૃત્યુના બનાવને લઇને સરકારે ગંભીરતા દાખવી હતી અને આ દિશામાં અનેકવિધ આદેશાત્મક પગલા સુચવવામાં આવ્યા હતાં. જેના પગલે પાટનગર યોજના વિભાગનું તંત્ર રીતસર દોડતું થઇ ગયુ હતું. ભયજનક આવાસમાં રહેતા કર્મચારીઓને સુરક્ષિત આવાસમાં સ્થળાંતર કરવામાં કોઇ સમસ્યા રહે નહીં તેના માટે સરકારી આવાસના ફાળવણીના રેશિયોમાં ફેરફાર કરીને ઉપલબ્ધ પ્રત્યેક ૧૦ આવાસમાંથી ૪ આવાસ ભયજનક આવાસમાં રહેતા કર્મચારીને ફાળવવા આદેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોટા પાયે સમારકામ હાથ ધરવામાં આવ્યા હતાં. આમ છતાં તાજેતરમાં ભયજનક અને અનધિકૃત કબ્જા સહિતના ૯૦૦ કિસ્સામાં મકાન ખાલી કરવા સંબંધમાં આખરી નોટિસ આપવાની સાથે મકાન ખાલી કરવામાં ન આવે તો પાણી, ગટર અને વીજળીના જોડાણ કાપી નાંખવા તાકીદ કરવામાં આવી છે.