આંધ્રની જગન સરકારે ચંદ્રબાબુ નાયડુ અને લોકેશને કર્યા નજરકેદ …

0
1212

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ એન.ચંદ્રબાબુ નાયડુ અને તેમના દીકરા નારા લોકેશને તેમના જ ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યા છે. હકીકતમાં આંધ્રપ્રદેશમાં ટીડીપીના નેતાની હત્યાના વિરોધમાં આજે ચંદ્રાબાબુ નાયડુ વિરોધ પ્રદર્શન કરવાના હતા. પોલીસે નાયડુ અને તેમના દીકરાને ઘરેથી નીકળવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે અને બંનેને હાઉસ અરેસ્ટ કરી દેવામાં આવ્યા છે. પોલીસના આ નિર્ણયનો વિરોધ કરતાં ચંદ્રાબાબુ નાયડુએ તેમના જ ઘરમાં આજે સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીની ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. નાયડુની આ જાહેરાત પછી સમર્થકો તેમના ઘરે જઈ રહ્યા છે. પોલીસે ઘણાં કાર્યકરોને રોકી લીધા છે અને અમુક કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.
નાયડુને મીડિયાને મળવાની છૂટ આપવામાં આવી નથી. તેમણે કહ્યું છે કે, લોકતંત્રનો કાળો દિવસ આવી ગયો છે. પ્રશાસને ચંદ્રાબાબુ સિવાય તેમના ઘણાં સમર્થકોને પણ નજરબંધ કરી દીધા છે. પૂર્વ મંત્રી પી. પુલ્લા રાવ, નક્કા આનંદ બાબૂ, અલ્પપતિ રાજા, સિદ્ધ રાઘવ રાવ, દેવીનેની ઉમામહેશ્વર રાવ, ધારાસભ્ય એમ ગિરિ, જી રામમોહન, પૂર્વ ધારાસભ્ય બોંડા ઉમા, એમએલસી વાઈવીબી રાજેન્દ્ર પ્રસાદ અને તેલુગુ યુવતાના અધ્યક્ષ દેવીનેની અવિનાશને નજરકેદ કરી લેવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ચંદ્રાબાબુ અને તેમના સમર્થકો પર હિંસા ફેલાવવાનો આરોપ મૂકયો છે. તેમણે કહ્યું છે કે, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના પોલીસ મહાનિદેશક (ડીજીપી) ગૌતમ સાંવગે મંગળવારે વિસ્તારમાં કલમ 144 લાગુ કરવાનું એલાન કરતાં કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની બેઠક, રેલી કે વિરોધ માર્ચની મંજૂરી નહીં આપવામાં આવે.

ચંદ્રાબાબુએ એક દિવસની ભૂખ હડતાળની અપીલ કરી

ચંદ્રાબાબુએ જગન રેડ્ડી પર રાજકીય હિંસા લગાવવાનો આરોપ લગાવીને વિરોધ કર્યો છે. તેમણે તેમના સમર્થકોને સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ભૂખ હડતાળ કરવાની અપીલ કરી છે. તે સાથે જ ટીડીપીએ ‘ચલો અટમાકુર’નો નારો પણ આપ્યો છે. ચંદ્રાબાબુએ જગનની પાર્ટી પર ટીડીપી સમર્થકોની હત્યાનો પણ આરોપ લગાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here