પ્રકાશ પાથરવાના સામૂહિક પ્રયાસમાં ભાગીદાર બનીએ…

0
1176

હિન્દુ ધર્મમાં પરાણિક કાળથી ઉજવાતા અને ભારતીય સંસ્કૃતિમાં સર્વોપરી એવા
દીપાવલી પર્વનો પ્રારંભ થઈ ગયો છે. રાવણનો વધ કરી લંકાથી અયોધ્યા પહોંચેલા ભગવાન શ્રી રામના આગમનને વધાવવા માટે ઘેર ઘેર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. તે પ્રસંગને યુગોથી ઉજવવાની પરંપરા આજે
પણ જળવાઈ રહી છે. દીપાવલી માત્ર દીપથી નહિ, દિલથી મનાવવાનું પર્વ છે જ્યોત સે જ્યોત જલાવીને
ભાઈચારાની ભાવના સાથે સમગ્ર વિશ્વમાં પ્રેમનો પ્રકાશ પ્રસરાવવાનું પર્વ છે.અંધકારથી ઉજાસ તરફ જવાનો ગૂઢ સંદેશ
આપતા આ પ્રેમ-પ્રકાશના પર્વમાં ઘેર ઘેર દીપ પ્રકટાવી પૌરાણિક પરંપરા રહી છે  એકાદશીથી ભાઈબીજ સુધીના સાત પર્વોની શૃંખલા આ મહાપર્વમાં હોઈ તેનું વિશેષ માહાત્મ્ય મનાય છે. માનવજીવન અને સમસ્ત વિશ્વના
સંચાલન તથા અસ્તિત્વ માટે જ્ઞાન અને ચેતનાની જરૂર છે અને એમાં પ્રકાશનું તત્ત્વ પણ અનિવાર્ય છે. દીપ પ્રકટે એટલે જ્ઞાન, ચેતના અને પ્રેમ પણ પ્રસરે. દીપ પ્રકટાવવાની પ્રક્રિયામાં અજ્ઞાનના અંધકારને ઓગાળીને
જ્ઞાન ચેતના પ્રકાશવાની વાત આ જ સંદેશો લઈને આવતું હોઈ આ મહાપર્વના તમામ દિવસોએ રોજે રોજ
ઘરઆંગણ, પેઢી, કચેરીઓમાં દીપમાળા, રંગોળીની સજાવટ થતી રહે છે. હારબદ્ધ પ્રકટેલા
માટીના કોડિયા અદ્‌ભુત અલૌકિક માહોલ સર્જે છે પ્રકાશ તો માનવીને પ્રવૃત્તિમાં જોડે છે. બાહ્ય
દીવો તો માત્ર પ્રતીકરૂપ છે. દિલમાં જે અંધારું છે એને દૂર કરવા માટે માહ્યલો દીવો પ્રકટાવવાનો છે. નવા જોમ, નવા સંકલ્પો અને શ્રદ્ધા સાથે દીવો પ્રકટાવીને જાત સાથે જગતને પણ ઉજાળવાની વાત આ પર્વમાં સમાવેલી છે.
દીપાવલીના પ્રકાશમય પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આવો, પ્રેમ અને પ્રકાશ પ્રસરાવવાના કર્તવ્યને સ્વીકારીને, આપણા ભાગનો એક દીવો તો આપણે જરૂર પ્રકટાવીએ… અંધકારના પ્રતીક સમાન આસુરીવૃતિને  અલવિદા કહી, પવિત્ર દૈવીશક્તિને ઉજાશે આવકારીએ  . . . દીપાવલીના પર્વની દિવ્યતાની અગ્નિમાં અનિષ્ટોને બાળી
નાખી જીવન સાથે જગતને પણ પ્રકાશમય બનાવવાનો શુભ સંકલ્પ કરીએ… જ્યાં સુધી માણસ પોતાની જાતને પ્રકાશથી પ્રજ્જવલિત ન કરે ત્યાં સુધી જીવન નક્કી અજ્ઞાનમય અને અંધકારમય જ રહેવાનું છે. પ્રકાશની સાક્ષીએ સદ્‌વિચાર અને વર્તન, વાણીને ઇમાનદારીથી આચરણમાં ઉતારી, ‘આત્મદીવો ભવ’ની ભાવના સાથે જાતને
ઉજાળીએ… જગતમાં પ્રકાશ પાથરવાના સામૂહિક પ્રયાસમાં ભાગીદાર બનીએ… તમસ હોય ત્યાં તેજ પાથરી નવા વર્ષની શરૂાત ‘સર્વે સુખી ભવન્તુ’ના ભાવથી કરી જીવન આનંદ અને ઉલ્લાસથી વીતાવીએ…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here