રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્વદેશી યુદ્ધ વિમાન તેજસમાં ઉડાન ભરી…

0
1321

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજરોજ દુશ્મનોને મ્હાત આપવાની ક્ષમતા ધરાવતા સ્વદેશી યુદ્ધ વિમાન તેજસમાં ઉડાન ભરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ રાજનાથ સિંહ તેજસમાં ઉડાન ભરનાર સૌપ્રથમ રક્ષા મંત્રી બન્યા છે. તેજસનું વજન પ્રમાણમાં ઘણું ઓછું છે અને હવામાં ઝડપથી ઉડાન ભરવામાં સક્ષમ છે. આવા યુદ્ધ વિમાન ખૂબજ સફળ ગણાય છે. ભારતનું તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (એસલીએ) એક એવું વિમાન છે, તે પોતાની શ્રેણીમાં પાકિસ્તાન અને ચીનના યુદ્ધ વિમાનોને પણ ટક્કર આપી રહ્યું છે.

ભારતીય વાયુસેનાએ તેજસ વિમાનની પ્રથમ ખેપને પોતાના કાફલામાં સામેલ કરી લીધી છે. આને ઉડાવનારા પાયલટ તેની ખાસિયતોથી ઘણા સંતુષ્ટ છે. તેજસને ડીઆરડીઓના એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ડિઝાઈન કર્યું છે. આ એરક્રાફ્ટની કલ્પના 1983માં કરાઈ હતી. જો કે આ પ્રોજેક્ટ 10 વર્ષ બાદ 1993માં મંજૂર થયો હતો. આ વિમાનને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (એચએએલ)એ તૈયાર કર્યું છે.

એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ જણાવ્યું કે તેજસ સતત હુમલો કરવામાં સક્ષમ હોવા ઉપરાંત સચોટ ટાર્ગેટ પર હથિયાર ફેંકવાની ક્ષમતા ધરાવે છે. આ એક યુદ્વ વિમાન છે માટે તેને એ જ રીતે કામ કરવું પડશે. એર-ટુ-એર અને એર-ટુ-સર્ફેસ બન્ને વિભાગમાં તેજસનું પ્રદર્શન સારું રહ્યું છે. પાયલટ્સ પણ આનાથી ખુશ છે.

તેજસ સ્વદેશી યુદ્ધ વિમાન છે પરંતુ વિદેશમાંથી થોડી મદદ મળી છે. એન્જિન અમેરિકાનું છે, રડાર અને હથિયાર ઇઝરાયેલના છે અને કેટલાક પાર્ટ્સ પણ વિદેશમાંથી લાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here