ગાંધીનગરમાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાની આવતીકાલે છેલ્લી તક

0
102

ગાંધીનગરમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરાવવા માટેની અરજી કરવાની આવતીકાલે 16 જૂને છેલ્લી તારીખ છે. જે અન્વયે કોઈ મિલ્કતધારકોએ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરાવવા માટે આવતીકાલ સુધીમાં હદ વિસ્તાર મુજબ મનપા તેમજ ગુડામાં અરજી કરવાની રહેશે. જે અવધિ વીતી ગયા પછી ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

આ અંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની ભાજપ સરકારે ઑક્ટોબર 2022માં વટહુકમ લાવી રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને તેમના બિનઅધિકૃત બાંધકામને નિશ્ચિત કરાયેલ ઇમ્પેકટ ફી ભરી કાયદેસર કરવા અંગેનો ઐતિહાસિક અને વ્યાપક લોકહિતનો નિર્ણય કર્યો હતો.

પોતાના પરિવાર સાથે નાના મકાનમાં રહેતા અને ગેરકાયદેસર બાંધકામ અંગે સતત ચિંતિત રહેતા અનેક પરિવારોએ રાજ્ય સરકારના સંવેદનશીલ નિર્ણયથી રાહતની લાગણી અનુભવી પોતાનું બાંધકામ કાયદેસર કરાવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુગમતા માટે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરાવવાના નિર્ણયની સમયમર્યાદા આવતું અકાળે તા. 16 જૂનના દિવસે પૂર્ણ થવા જઈ રહી છે.