ગાધીનગરનાં દંપતીનું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં રિવર રાફટિંગ દરમિયાન તણાઈ જતાં મોત

0
136

હાલમાં અમદાવાદ મુકામે રહેતા ગાંધીનગરના મોતીપુરા ગામના વતની ભીખાભાઈ અંબાલાલ અને તેમની પત્ની સુમિત્રાબેનનું પહેલ ગામમાં રિવર રાફટિંગ દરમ્યાન પાણીમાં તણાઈને ડૂબી જવાથી મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જેનો વિડિઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગાંધીનગરના સાદરા – મોતીપુરા ગામના વતની ભીખાભાઈ પટેલ અને તેમના પત્ની સુમિત્રાબેન અમદાવાદ ખાતે રહેતાં હતાં. જેમનો પુત્ર મંથન કેનેડા ખાતે રહે છે. પાંચેક દિવસ અગાઉ ભીખાભાઈ અને સુમિત્રાબેન તેમના વેવાઈની સાથે કાશ્મીરની સહેલગાહ પર ગયા હતા. પરંતુ આ સફર દંપતીની છેલ્લી સફર બની ગઈ છે.

જમ્મુ કાશ્મીરમાં અનેક સ્થળોને સહેલગાહ કર્યા પછી દંપતી પહેલગામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં અન્ય સહેલાણીઓ સાથે પટેલ દંપતી પણ રિવર રાફટિંગ કરવા માટે બોટમાં બેસે છે. બાદમાં અન્ય બે યુવતીઓને પણ ખલાસીએ બોટની સફર શરૂ હતી. પરંતુ આગળ જતાં પાણીનો પ્રવાહ ધસમસતો હોવાથી કોઈ કારણસર બોટના ખલાસીએ બોટ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં બોટ હિલોળે ચડવા માંડી હતી. આ દરમ્યાન રિવર ડ્રાફ્ટિંગ કરાવતી અન્ય એક બોટ નજીકમાં જ હોય છે. અને પળવારમાં વિશાળ ધોધના પાણીના પ્રવાહમાં બોટ તણાઈ જવા પામી હતી. આ દુર્ઘટનામાં હોડીમાં બેઠેલા ચાર પૈકી એકનો બચાવ થયો હતો. જ્યારે ભીખાભાઈ તથા તેમના પત્ની સુમિત્રાબેન તથા અન્ય એક નદીના તેજ પ્રવાહમાં તણાઈ જતાં મોત થઈ ગયા હતા.

બાદમાં તેમના મૃતદેહને સર્ચ ઓપરેશન હાથધરીને શોધી કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં મોતીપુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે હવાઈ માર્ગે દંપતીનાં મૃતદેહને પરત લાવીને ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે. જો કે આ સમગ્ર ઘટનાનો હચમચાવી દેતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.