ગુજરાતમાં બાળ મજૂરીનો મામલો ગરમાયો છે. બીજીતરફ તૃણમુલ કોગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરી હતી. આ બનાવની વિગત મુજબ મોરબી રોડ પરથી ફરી એકવાર બાળ મજૂરીનો મોટો પર્દાફાશ થયો છે. રાજકોટ SOG પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તબીબની જેમ ઓપરેશન ચલાવી 21 બાળકોને ગુલામી માંથી મુક્ત કરાવ્યા છે. જે માંથી 16 સગીર બાળકો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે જુઓ કેવી રીતે નિર્દોષ બાળકો પર અત્યાચાર ગુજારી બાળમજૂરી કરવા બંગાળથી રાજકોટ લાવવામાં આવ્યા હતા.
રાજકોટ ના બેડી ચોકડી પાસે આવેલ ગોપાલ સોસાયટી માં એક બંગાળી વ્યક્તિ 21 જેટલા બાળકોને બાળમજૂરી કરાવવા માટે બંગાળથી રાજકોટ લાવ્યો હતો અને બાળકોને મારમારીને તેમને ગોંધી રાખતો હતો. પોલીસને બાતમી મળતા પોલીસે ગુરુવાર મોડી રાત્રે દરોડા પાડ્યા હતા અને 21 જેટલા બાળકોને ગુલામી માંથી મુક્ત કરાવ્યા હતા. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
તેઓએ જણાવ્યું કે આ બાળ મજૂરીનો મોટો રેકેટ ચલાવવામાં આવી રહ્યો હતો. પોલીસ તપાસમાં અજીત મુલ્લા અજમત મુલ્લા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અમારે 2 તારીખથી જ માહિતી મળી હતી. એક મકાનમાં તપાસ પણ કરવામાં આવી હતી પરંતુ ત્યારે બાળકો ત્યાં હાજર ન હતા. ત્યારબાદ મોરબી રોડ બેડી ચોકડી નજીક સ્થળે ખસેડાયા હતાં. જ્યાં દરોડો કરતા મકાનમાં ગોંધી રાખેલા બાળકો મળી આવ્યા હતા. જે બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવ્યા છે. ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.