નવા સત્ર પેહલા શહેર જિલ્લા ની શાળાઓ માં ફાયર સેફ્ટી ની તપાસ શરુ…

0
84

રાજકોટ હોનારત બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ફાયર સેફટી સહિતના નીતિ- નિયમોને ઘોળીને પી જનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીના ભાગરૂપે સરકાર સહિત સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એકશન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. આ તબક્કે સુરત શહેર-જિલ્લામાં આવેલી તમામ શાળાઓ વેકેશનના માહોલ વચ્ચે પણ ખુલ્લી રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ ફરમાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તમામ શાળાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંદર્ભેની તપાસ હાથ ધરવાની પણ તાકીદ કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સહિત ડીજીવીસીએલ, ડીઈઓ, જીઆઈડીસી સહિતના વિભાગના ઉચ્ચાધિકારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં તમામ વિભાગો વચ્ચે સંકલન સાધીને ફાયર સહિતના વિભાગની એનઓસી મુદ્દે તળિયાઝાટક તપાસ હાથ ધરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન વેકેશનનો માહોલ હોવા છતાં પણ શાળાઓ ખુલ્લી રાખવા અંગે ડીઈઓને જણાવવામાં આવ્યું હતું. બેઠકમાં લેવાયેલા નિર્ણયોને પગલે આજરોજ બુધવારે ડીઈઓ દ્વારા તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્ય અને સંચાલકોને શાળાઓ ખુલ્લી રાખવાની સૂચના આપવામાં આવી છે. આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા અંગે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. શાળાની ઈમારતમાં ફાયર સેફટી સહિતની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ તે અંગે ચકાસણી કરવામાં ટીમને સરળતા રહે તે માટે આ ફરમાન કરાયુ હોવાનું પણ શાળાના સંચાલકોને જણાવાયુ છે.