ભાજપનો ચૂંટણી ઢંઢેરો 2022 જાહેર

0
253

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ભાજપ આજે સંકલ્પ પત્ર  જાહેર કર્યો છે. આજે કમલમ ખાતે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીનો ‘સંકલ્પપત્ર’ જાહેર કર્યો હતો. આ દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી ઢંઢેરાની જાહેરાત પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું. જેમાં તા. 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવાયા હતા.

સંકલ્પ પત્ર રજૂ કરતા અગાઉ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે  સંકલ્પ પત્ર  બનાવવા માટે ખાસ અભિયાન  ચલાવવામાં આવ્યું હતું.  તેમજ ભાજપે અગાઉના વર્ષોના વાયદા પૂર્ણ કર્યા છે. ત્યારે આ  ઘોષણા પત્રમાં ભાજપે ગુજરાતની જનતાને ઇન્ફ્રાસ્ટ્રકચર અને સંસ્કૃતિના વિકાસાર્થે કેટલાક વાયદા કર્યા છે. તો શું છે આ વાયદા તેના પર આગળ અહેવાલમાં નજર કરીએ.

અગ્રેસર ઇન્ફ્રાસ્ટ્રકચર

– 3,000 કિ.મી. લાંબા સમગ્ર ગુજરાતને આવરી લેતા “પરિક્રમા પથ” અને “ગુજરાત લિંક કોરિડોર્સ” (દાહોદથી પોરબંદરને જોડતી પૂર્વ-પશ્ચિમ કોરિડોર અને પાલનપુરથી વલસાડને જોડતી ઉત્તર-દક્ષિણ કોરિડોર)નું નિર્માણ કરીશું. ‘ગુજરાત લિંક કોરિડોર્સ’નો વિકાસ કરીશું, જેમાં હાલના હાઈ-વેને વધુ લંબાવીશું અને ખૂટતી કડીઓ સમાન કામ પૂર્ણ કરીશું. પૂર્વ-પશ્ચિમ કોરિડોર દાહોદથી પોરબંદરને જોડશે અને ઉત્તર-દક્ષિણ કોરિડોર પાલનપુરથી વલસાડને જોડશે.

– સૌરાષ્ટ્રના મહત્વના આર્થિક કેન્દ્રો અને નેશનલ હાઇ-વે વચ્ચે મજબૂત કનેક્ટિવિટી વિકસાવવા માટે “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઇ-વે ગ્રીડ’ને સાકાર કરીશું.

-શહેરી વિસ્તારોમાં નાગરિકોના જીવનસ્તરમાં સુધારો કરવા ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ રૂપિયા 25,000 કરોડનો ખર્ચ કરીશું. શહેરી વિસ્તારોમાં ગીચતા ઘટાડવા (સેટેલાઇટ ટાઉનશીપ્સ) અને નાગરિકોના જીવનસ્તરમાં સુધારો કરવા (રિવરફ્રન્ટ, રિક્રિએશનલ પાર્ક્સ, અર્બન ફોરેસ્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ) માટે ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ ₹25,000 કરોડનો ખર્ચ કરીશું.

-ગાંધીનગર અને સુરત મેટ્રોની કામગીરીને નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરીશું અને સૌરાષ્ટ્ર (રાજકોટ) અને મધ્ય ગુજરાત (વડોદરા)ની પ્રથમ મેટ્રો રેલ સેવા પર ઝડપથી કામ શરૂ કરીશું.

અગ્રેસર સંસ્કૃતિ

-દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે ‘દેવભૂમિ દ્વારકા કોરિડોર” બનાવીશું.

-મંદિરોના જીર્ણદ્ધાર અને વિસ્તરણ માટે રૂપિયા 1,000 કરોડ ફાળવીશું.

– ગુજરાતના ઉન્નત સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા માટે રૂપિયા 2,500 કરોડનું રોકાણ કરીશું.

સિવિલ એવિએશનમાં No.1 બનશે ગુજરાત –

સૌથી વધુ સંખ્યામાં ડોમેસ્ટિક-ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરીશું.

રૂ. 80,000 કરોડના રોકાણના લક્ષ્ય સાથે શ્યામજી કૃષ્ણ વર્મા રિન્યૂએબલ એનર્જી મિશન શરુ કરીશું.