ભારતના કેરળ રાજ્યમાં કોરોના નો JN.1વેરિયન્ટનો એક કેસ સામે આવ્યો

0
85

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. ભારત સહિત વિશ્વના લગભગ તમામ દેશોમાં કોરોના મહામારીના કારણે હજારોની સંખ્યામાં લોકોના મોત નીપજ્યા હતા. કોરોના મહામારીએ હાલ પણ માનવજાતનો પીછો છોડ્યો નથી, તેવું લાગી રહ્યું છે. કારણ કે, સમય સમય પર આ કોવિડ-19 વાયરસના નવા નવા વેરિયન્ટ સામે આવતા હોય છે. ત્યારે હવે કોવિડના નવા સબવેરિયન્ટ્સમાંનું એક JN.1 એ અમેરિકા બાદ ભારતમાં પ્રવેશ કર્યો છે. અમેરિકાની ચિંતા વધારનારા આ સબવેરિયન્ટનો એક કેસ ભારતના કેરળમાં સામે આવ્યો છે.જણાવી દઈએ કે, યુએસ અન્ય નવા કોવિડ વેરિઅન્ટ, HV.1 સામે સંઘર્ષ કરી રહ્યું છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, શિયાળાની ઋતુમાં નવા કેસમાં વધારો થઈ શકે છે. કોવિડ-19ના નવા સબવેરિયન્ટ્સમાંનું એક JN.1 એ કોવિડના જ વેરિયન્ટ પિરોલા અથવા BA 2.86નું વંશજ છે. ભારતના કેરળ રાજ્યમાં આ વેરિયન્ટનો એક કેસ સામે આવ્યો છે, જેણે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ચિંતા વધારી છે. આ અંગે ચિંતા વ્યક્ત કરતા નિષ્ણાતોએ કહ્યું છે કે, રાજ્યમાં પહેલાથી જ વધી રહેલા કેસોમાં આ નવો પ્રકાર વધારો કરી શકે છે.