રશિયાના ફ્લોપ શો પછી ભારતના ચંદ્રયાન પર વિશ્વની નજર…

0
121

ભારતે ગયા મહિને અંતરિક્ષમાં મોકલેલા ચંદ્રયાન-3ના પર લેન્ડિંગ આડે હવે બે દિવસનો સમય છે. ભારત પછી રશિયાએ પણ તેનું લૂના સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર મોકલ્યું હતું જે ગઈકાલે જ ક્રેશ થઈ ગયું છે. તેના કારણે હવે બધાની નજર ભારતના Chandrayaan-3 પર છે. ચંદ્રયાનના લેન્ડિંગને હવે માંડ 55 કલાક બાકી છે. ભારતીય સમય પ્રમાણે બુધવારે સાંજે 5.45 વાગ્યે ચંદ્રના દક્ષિણ ભાગમાં ચંદ્રયાન 3 ઉતરાણ કરશે. ચંદ્રનો આ એવો વિસ્તાર છે જ્યાં અગાઉ કોઈ પણ દેશને પોતાના યાન ઉતારવામાં સફળતા મળી નથી.ઈસરોએ જણાવ્યું કે બુધવારે સાંજે ચંદ્રયાન – 3 ચંદ્રના સાઉથ પોલર રિજયન પર લેન્ડિંગ કરવાનો પ્રથમ પ્રયાસ કરશે. ઈસરોની યોજના આ સોફ્ટ લેન્ડિંગને એકદમ સુરક્ષિત બનાવવાની છે. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-3 મિશનના લેન્ડર મોડ્યુલની ભ્રમણકક્ષામાં રવિવારે સફળતાપૂર્વક ઘટાડો કરવામાં આવ્યો હતો. આ યાન 14 જુલાઈએ શ્રીહરિકોટાથી રવાના કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધી બધું બરાબર જઈ રહ્યું છે.

પૃથ્વી પરથી Chandrayaan-3 રવાના થયાના 35 દિવસ પછી તેનું ચંદ્રની સપાટી પર ઉતરાણ થવાનું છે. ભારત જે જગ્યાએ ચંદ્રયાનને ઉતારવા માગે છે ત્યાં અગાઉ લેન્ડિંગ માટે રશિયા અને ચીને પણ પ્રયાસ કર્યા છે, પરંતુ તેમને સફળતા મળી નથી. ઈસરોએ સોમવારે ચંદ્રના એ ભાગની તસવીરો મોકલી હતી જ્યાં ચંદ્રયાનને ઉતરાણ કરવાનું છે. આ તસવીરો લેન્ડર હઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા દ્વારા મોકલવામાં આવી હતી.