રાજકોટના સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં આયોજકો ફરાર……

0
21

રાજકોટના રેલનગર વિસ્તારમાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં વિવાદ સર્જાયો છે. વરરાજા, જાનૈયા લગ્ન કરવા પહોંચ્યા પર આયોજકો ફરાર થયા હોવાનું સામે આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. જાન , જાનૈયા અને કન્યા પક્ષ રસ્તે રઝળ્યા હતા. જે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે જવાબદારી લીધી હતી. ત્યારબાદ ભૂદેવ દ્વારા લગ્નની વિધિ શરુ કરાવવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર રાજકોટના રેલ નગર વિસ્તારમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. 28 યુવતીઓના સમૂહલગ્ન યોજવામાં આવ્યા હતા. ત્યારે સમૂહલગ્નના સ્થળે આયોજકો હાજર ન થતા હંગામો સર્જાયો હતો. લગ્ન કરવા પહોંચેલા પરિવાર અને જાનૈયાઓમાં રોષ જોવા મળ્યો હતો.ઋષિવંશી સમાજ સેવા સંઘના નામથી આયોજન કરવામાં આવ્યું છે. એક પરિવાર પાસે 20 હજાર રુપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. વર અને કન્યા પાસેથી 40 હજાર રુપિયા વસૂલ્યા હતા. આ સમુહ લગ્નના મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ અને દિપક હિરાણી છે. જેઓ લગ્નના દિવસે જ ફરાર થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેના પગલે કેટલાક વર અને કન્યા ઘરે પરત ફર્યા હતા. જ્યારે ત્યાં હાજર વર – કન્યાને ભૂદેવ દ્વારા લગ્ન કરાવવામાં આવ્યા છે.