સુપ્રીમ કોર્ટે ગુલાબ નબી આઝાદને જમ્મુ-કાશ્મીર જવાની છૂટ આપી

0
1173

સુપ્રીમ કોર્ટમાં સોમવારના રોજ જમ્મુ-કાશ્મીર સાથે સંકળાયેલી કુલ આઠ અપીલો પર સુનાવણી થઈ. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા નેતા વિપક્ષ ગુલાબ નબી આઝાદને સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર જવા માટેની પરવાનગી આપી દીધી છે. આ દરમિયાન તેઓ એક પણ રાજકીય કાર્યક્રમોમાં ભાગ નહીં લઈ શકે. ત્યાં ગયા પછી તેમણે સુપ્રીમ કોર્ટને એક અહેવાલ સોંપવો પડશે. આઝાદ બારાપુલા, અનંતનાગ, શ્રીનગર અને જમ્મુ જાય તેવી શક્યતાઓ છે.

અપીલ પર સુનાવણી અંગે જણાવતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે કોર્ટમાં મેં કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરનો પૂર્વ મુખ્યમંત્રી છું તેથી હું જમ્મુ-કાશ્મીર પ્રવાસ પર જવા માંગુ છું. આઝાદ તરફથી સુપ્રીમ કોર્ટને વિશ્વાસ આપવામાં આવ્યો છે કે તેઓ આ પ્રવાસ દરમિયાન કોઈ રાજકીય રેલી નહીં યોજે. નોંધનીય છે કે તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાના પરિવારને મળવાની પરવાનગી માંગી હતી.

5 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાનો નિર્ણય લીધો હતો ત્યારબાદથી જ કોઈ બહારી નેતાને ઘાટીમાં જવાની પરવાનગી આપવામાં આવી નહતી. ગુલાબ નબી આઝાદ જ્યારે જમ્મુ-કાશ્મીર જવા માટે રવાના થયા હતા ત્યારે તેમની શ્રીનગર એરપોર્ટ પર જ અટકાયત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી અન્ય વિપક્ષી નેતાઓ સાથે શ્રીનગર ગયા હતા. ત્યારે તેમને પણ શ્રીનગર એરપોર્ટ પરથી જ દિલ્હી માટે રવાના કરી દેવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here