રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 376 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે જ્યારે 153 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં 5804 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 319એ પહોંચ્યો છે. તેમજ 1195 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. આ પહેલા 19 એપ્રિલે 367, 29 એપ્રિલે, 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333, 3મેના રોજ 374 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સતત છઠ્ઠા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં કુલ 7 વાર 300થી વધુ દર્દી નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કેસો અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 376 નવા કેસ નોંધાયા છે. જેનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 259, વડોદરામાં 35, ભાવનગરમાં 21, સુરતમાં 20, ગાંધીનગરમાં 7, પંચમહાલમાં 7, દાહોદમાં 6, મહીસાગરમાં 3,બનાસકાંઠામાં 3, બોટાદમાં 3, જામનગરમાં 3, રાજકોટમાં 3, ખેડામાં 3, સાબરકાંઠામાં 2 અને આણંદમાં 1 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 26, વડોદરામાં 2 અને સુરતમાં 1 દર્દીના મૃત્યુ થતા 29 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 153 દર્દી સાજા થયા છે. મૃત્યુ પામેલા 29 દર્દીમાંથી 16ના કોરોનાને કારણે અને 13ના અન્ય બીમારી, હાઈ રિસ્ક અને કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 84 હજાર 648 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 5804ના રિપોર્ટ પોઝિટિવ અને 78, 844ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.






