લોકપ્રશ્નો માટે વસાહત મહાસંઘનો ઘણ ઘા…!?

0
793

જનતા રેડ આંદોલન ગાંધીનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી તંત્રની બેદરકારીને કારણે વધેલી બેફામ સમસ્યાઓ સામે
ભારે લોકાક્રોષ ફેલાયો છે ત્યારે જાહેર વસાહત મહાસંઘ દ્વારા નવા-જુના ગાંધીનગરના તમામ વિસ્તારોમાં બેઠકો યોજી જનતા રેડ આંદોલનની મજબૂત પૂર્વભૂમિકા બાંધી ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર આપ્યા બાદ આંદોલનના તબક્કાવાર કાર્યક્રમો ઘડી કાઢવામાં આવનાર છે. જેમાં નાગરિકોને સાથે રાખી
અસરકારક રીતે આંદોલન વિસ્તારી નગરની સમસ્યાઓના ઉકેલ માટે છેવટ સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. પાટનગર હોવા છતાં ગાંધીનગર શહેરમાં સમસ્યાઓ બેફામ વધી રહી છે.
જેના ઉકેલ પ્રત્યે તંત્રની બેદરકારી પણ છતી થઈ છે ત્યારે શહેર વસાહત મહાસંઘના અધ્યક્ષ કેસરીસિંહ બિહોલાની આગેવાની હેઠળ સરકાર સામે આયોજનબદ્ધ અને અસરકારક લડત ચલાવી શહેરના બિસ્માર રસ્તા, ફૂટપાથની મરામત ઉપરાંત ઠેર-ઠેર સર્જાયેલ ભૂવા, ખાડા, ગંદકી, પાણીના ભરાવા જેવી સમસ્યાઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરી તેના ઉકેલ માટે સક્રીય પ્રયાસરૂપે જનતા રેડ આંદોલનની રૂપરેખા તૈયાર કરી તબક્કાવાર લડતના કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવશે. આ સંદર્ભે નવા જૂના ગાંધીનગરના તમામ વિસ્તારોમાં નાગરિકો, વેપારીઓ સાથે બેઠકો યોજી પ્રશ્નો-સમસ્યાઓની જાણકારી મેળવ્યા બાદ નક્કર આવેદનપત્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા કરવેરા લઈ સુવિધાઓ ન આપવી તથા ટોરેન્ટ કંપની અને જીએસપીસી દ્વારા જંગી બિલની વસૂલાત અને સેવામાં દાખવાતી બેદરકારી સામે પણ રોષ ફેલાયો છે. તમામ સમસ્યાઓ, લોકરજૂઆતો આવેદનપત્રો મારફતે સંબંધિત વિભાગોને આપી ઝડપીઉકેલ માટે રજૂઆત કરાસે. તેમ છતાં ઉકેલ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જનતા રેડ આંદોલનના આશ્ચર્યજનક કાર્યક્રમો યોજી વધુ લડત આપવા મહાસંઘ કટીબદ્ધ છે. એમ જનસંપર્ક મહામંત્રી હિમાંશુ ભચેચે વધુમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here