એસ.ટી.ના ભાડાંમાં આજે મધરાત્રિથી 10 ટકાનો વધારો

0
39

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી)ની એસટી બસના ભાડાંમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આજે મધ્યરાત્રિ એટલે કે 12 વાગ્યાથી (૨૯ માર્ચ) અમલમાં આવે તે રીતે લાગુ કરવાનો નિગમના નિયામક મંડળે લીધો છે. જોકે, નિગમ સંચાલિત બસ સેવાનો રોજ ૮૦ ટકા મુસાફરો, કે જે સરેરાશ ૧૦ લાખ લોકો લાભ લે છે, એવા ૪૮ કિમી અંતરની મુસાફરી માટેના ભાડાંમાં માત્ર રૂ.૧થી ૪નો જ વધારો લાગુ થશે. આમ, લોકલ બસ સેવામાં ભાડાં વધારાની અસર નહીંવત્ રહેશે. ભાડા વધારાની 27થી 30 લાખ લોકોને અસર થશે. નિગમે ૨૦૧૪ પછી પહેલી વખત ઓગસ્ટ-૨૦૨૩માં ૨૫ ટકાનો ભાડાં વધારો કર્યો હતો. એ વખતે પણ ૬૮ ટકાનો વધારો કરવા દરખાસ્ત હતી.

શુક્રવારે મળેલી નિગમના નિયામક મંડળની બેઠકમાં નિગમે તેના બસ સંચાલન તથા અન્ય ખર્ચાઓને ધ્યાનમાં રાખીને સરેરાશ ૬૮ ટકાનો વધારો કરવાની દરખાસ્ત મૂકી હતી, તેને ફગાવી દેવામાં આવી હતી. નિયામક મંડળે સર્વાનુમતે ૧૦ ટકાનો ભાડા વધારો મંજૂર કર્યો હતો.

એસટી બસ સેવા દૈનિક ૮૦૦૦થી વધુ બસફ્લિટનું સંચાાલન કરી ૨૭ લાખ જેટલા મુસાફરોને સેવા પૂરી પાડે છે. નિગમ દ્વારા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ ઉપરાંત અન્ય નિયત શ્રેણીના મુસાફરોને મફત અથવા તો નજીવા દરે પરિહવન સેવા પૂરી પાડે છે. છેલ્લા દોઢ વર્ષમાં જ નિગમે બીએસ-૬ પ્રકારની ૨૯૭ નવી બસ સંચાલનમાં મૂકી છે. જેમાં મીની બસ, લક્ઝરી, સ્લીપર કોચ જેવી સેવાનો સમાવેશ થાય છે. ૨૦૨૫-૨૬માં નિગમ ૨૦૫૦ નવી બસ સંચાલનમાં મૂકવા જઇ રહી છે.