ભારત-કેનેડા વચ્ચે વેપારને લઈને વાતચીત ટળી..!

0
149

કેનેડાના વેપાર મંત્રી મેરી એનજીએ ઓક્ટોબર માટે આયોજિત ભારત સાથેના તેમના ટ્રેડ મિશનને મુલતવી રાખ્યું છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. G20 સમિટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર ઉગ્રવાદી પ્રવૃત્તિઓ અંગે કડક વલણ અપનાવ્યાના થોડા દિવસો બાદ જ આ વધી રહેલા તંગ રાજદ્વારી સંબંધોને પ્રતિબિંબિત કરે છે. મીડિયાના અહેવાલ મુજબ, મેરી એનજીના પ્રવક્તા શાંતિ કોસેન્ટિનોએ કોઈ કારણ આપ્યા વિના કહ્યું હતું કે અમે આ સમયે ભારત સાથે આગામી ટ્રેડ મિશનને સ્થગિત કરી રહ્યા છીએ.

વડાપ્રધાને G20માં ઉગ્રવાદી ગતિવિધિઓ પર કડક વલણ અપનાવ્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટ 2023માં વિશ્વના ઘણા નેતાઓ સાથે ઔપચારિક દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ દરમિયાન તેમણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી અને વિવિધ ક્ષેત્રોમાં ભારત-કેનેડા સંબંધો અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાને G20ના પ્રસંગે કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં કેનેડામાં ઉગ્રવાદી તત્વો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.