સુરેન્દ્રનગરના દસાડા ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો….

0
120

કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં છે. આ અકસ્માત સુરેન્દ્રનગરના દસાડા અને જેનાબાદ પાસે સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર ખાતે દસાડા પાસે જઇ રહેલી સ્વિફ્ટ કારને ટ્રકે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કાર બાજુના ખેતરમાં જઇને ખાબકી હતી. કારનું પડીકું વળી જતાં તેમાં સવાર ચાર લોકો કારમાં જ દબાઇ ગયાં હતા અને મોતને ભેટ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યાં હતા અને 108ને જાણ કરી હતી. પરંતુ 108 આવે તે પહેલાં જ ચારેય લોકોનાં મોત નીપજ્યાં હતા. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે દસાડા પીએસઆઇ વી.આઈ.ખડીયાએ જણાવ્યું કે, આ ચારેય મૃતકો મોરબી જિલ્લાના છે. એમાંથી ત્રણ લોકો દેત્રોજ પાસેના કુકવાવ ગામના જમાઈ છે. રાત્રે કુકવાવ પાસે અકસ્માતમાં એમના સાસરી પક્ષમા કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. એની લૌકિક ક્રિયામા આ ચારેય દરબારો દેત્રોજના કુકવાવ ગામે જઈ રહ્યાં હતા. ત્યારે આ અકસ્માતમા ગાડીમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. મળતી માહિતી અનુસાર મૃતકો મોરબીના હોવાનું સામે આવ્યું છે. 4 લોકો દરબાર હોવાનું સામે આવ્યું છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી. પરંતુ અકસ્માતનો ભોગ બનેલી સ્વિફ્ટ કાર કુલદીપસિંહ પરમારના નામે હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.