અભિનેત્રી ક્રિતિકા કામરા અને ગૌરવ કપૂરે 11 માર્ચે મુંબઈમાં તેમનાં ઘરમાં જ નજીકનાં પરિવારજનો અને મિત્રો વચ્ચે સાદાઈથી લગ્ન કર્યાં છે. ઘણાં સેલેબ્રિટીને પસંદ હોય છે એવા ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગને છોડીને, ક્રિતિકાએ જણાવ્યું કે તેમનાં માટે લગ્ન ક્યારેય “કેલેન્ડર પરની ઇવેન્ટ” નહોતાં.
ક્રિતિકાએ કહ્યું, “સાચું કહું તો, લગ્ન મોટો મુદ્દો નહોતો, લગ્નજીવન હતું. એ જ સૌથી મહત્વનું હતું. જ્યારે અમે તે તબક્કે પહોંચ્યા, ત્યારે કેવી રીતે લગ્ન કરીએ તે ખાસ મહત્વનું નહોતું. શરૂઆતથી જ અમને ખાતરી હતી કે અમારે 3-4 દિવસનાં ડેસ્ટિનેશન વેડિંગ નથી કરવાં. અમારે કેલેન્ડર પર રહેવું નહોતું. સવાર-સાંજનાં રીત- રિવાજો પણ નહોતાં કરવા.”
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે લગ્નનાં વ્યસ્ત કાર્યક્રમને કારણે દુલ્હા-દુલ્હન પોતાનાં જ લગ્નનો આનંદ માણી શકતાં નથી, પરંતુ ક્રિતિકા અને ગૌરવે આ માન્યતા તોડી.
ક્રિતિકા કહે છે, “હું સહમત નથી. મેં તો ખૂબ આનંદ કર્યો, કારણ કે અમે હોસ્ટ નહોતાં, દોડતા નહોતાં. કોઈ અમને કહેતું નહોતું કે જલ્દી કરો, સૂર્યાસ્ત થઈ રહ્યો છે, અથવા આ એન્ટ્રી કરવાની છે. અમુક સમયે પરફોર્મન્સ કરવાનું હતું — એવું કઈ નહોતું. કોઈ પણ કોઈ માટે દેખાડો કરતું નહોતું. બધું સ્વાભાવિક રીતે ચાલી રહ્યું હતું. અમે અમારા મિત્રો અને પરિવાર સાથે બધો સમય માણ્યો… અમે ઈચ્છતાં હતાં કે અમારા પરિવારના વૃદ્ધ લોકો અને બાળકો પણ સહજ રીતે જોડાઈ શકે.”
ક્રિતિકા અને ગૌરવ બંને માટે મુંબઈ શહેર ખાસ મહત્વ ધરાવે છે, તેથી તેઓએ લગ્ન પણ ત્યાં જ કરવાનો નિર્ણય લીધો. ક્રિતિકાએ કહ્યું, “અમે ચોક્કસ મુંબઈમાં જ લગ્ન કરવાં માગતાં હતાં, કારણ કે આ શહેરમાં જ અમે પોતાને અને પછી એકબીજાને શોધ્યાં છે. ફક્ત સુંદરતા માટે બીજા શહેરમાં જવાનું અમને યોગ્ય લાગ્યું નહીં.”






