ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ

0
130

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર છે. ડોક્ટરોએ રવિવારે આ જાણકારી આપી. ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગનો હવાલો પણ ધરાવે છે. રાજકોટની સિનર્જી હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. સંજય ટીલાલાએ જણાવ્યું હતું કે, જામનગરમાં શનિવારે રાત્રે સાડા દસ વાગ્યે રાઘવજી પટેલને મગજની જમણી બાજુએ હેમરેજ થયું હતું. તેમને જામનગરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાંથી તેમને અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ડૉ તિલાલાએ જણાવ્યું હતું કે, “તેમને રવિવારે સવારે 4:00 વાગ્યાની આસપાસ અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સઘન સંભાળ એકમ (ICU) માં તેની સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ સ્થિર છે.” રાઘવજી પટેલ જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. સપ્ટેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને સત્તારૂઢ ભાજપમાં જોડાયા હતા. રાઘવજી પટેલ, કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય તરીકે, ઓગસ્ટ 2017 માં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ વિરુદ્ધ મતદાન કર્યું હતું. જો કે અહેમદ પટેલ ચૂંટણી જીત્યા હતા.

રાઘવજી પટેલે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના વલ્લભ ધારવિયાએ તેમનો પરાજય કર્યો હતો. બાદમાં ધારવિયાના રાજીનામાને કારણે રાઘવજી પટેલે 2019ની પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ આ બેઠક પરથી ફરીથી ચૂંટાયા હતા.