થિયેટર બિઝનેસે શાનદાર કમબૅક કર્યું છે : ભૂમિ પેડણેકર

0
510

દિવાળી દરમ્યાન થિયેટરના બિઝનેસમાં સારોએવો ઉછાળ આવતાં ભૂમિ પેડણેકરને ખુશી છે. મહારાષ્ટ્રમાં થિયેટર્સ ઘણા મહિનાઓથી બંધ હતાં, પરંતુ એને પણ હવે સલામતીના પૂરતા બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવ્યાં છે. એને કારણે ‘સૂર્યવંશી’ને જોવા લોકો પણ થિયેટર્સ તરફ પાછા ફર્યા છે. ભૂમિની પાંચ ફિલ્મો આવનારા સમયમાં રિલીઝ થવાની છે. તે અનુભવ સિંહાની ‘ભીડ’માં જોવા મળવાની છે. રાજકુમાર રાવ સાથે ‘બધાઈ દો’માં, શશાંક ખૈતાનની ‘ગોવિંદા નામ મેરા’માં, અક્ષયકુમાર સાથે ‘રક્ષાબંધન’માં અને હજી એક ફિલ્મમાં તે જોવા મળવાની છે. આ બધી ફિલ્મો એકબીજાથી હટકે હોવાનું ભૂમિનું માનવું છે. એ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘મારી આવનારી જે ફિલ્મો છે એ થિયેટર્સમાં લોકોને અનોખો અનુભવ આપશે. આવતા વર્ષે મારી પાંચ ફિલ્મો રિલીઝ થવાની છે. આ બધી એકબીજાથી અલગ અને હટકે છે. હું નસીબદાર છું કે મારી પહેલી ફિલ્મથી માંડીને અત્યાર સુધી મને હંમેશાં અલગ સ્ક્રિપ્ટ મળી છે. આવતા વર્ષે પણ હું દર્શકોને મારી પર્સનાલિટીથી એકદમ અનોખાં એવાં પાત્રો ભજવતી ફિલ્મો લઈને આવવાની છું. હું આ બધી ફિલ્મોને લઈને ખૂબ ઉત્સાહિત છું. મહામારીમાં કેસિસમાં ઘટાડો આવતાં દિવાળી દરમ્યાન થિયેટરના બિઝનેસે કમબૅક કર્યું છે. કોવિડ-19ને કારણે ઇન્ડસ્ટ્રીને ખૂબ નુકસાન થયું હતું, એથી આ સારા ન્યુઝ છે. લોકોને સારી ફિલ્મો જોવી પસંદ છે અને ‘સૂર્યવંશી’ની સફળતાએ એ સાબિત કરી આપ્યું છે. મને હંમેશાંથી વિશ્વાસ હતો કે લોકો થિયેટર્સમાં પાછા ફરશે અને હવે લોકો પણ સુરક્ષિત અનુભવી રહ્યા છે. તેઓ સારી ફિલ્મો જોવા માટે થિયેટર્સ તરફ વળવાના છે અને તેમને થિયેટર્સનો અનુભવ ફરીથી લેવો છે. હું ખુશનસીબ છું કે મારા પાસે ક્વૉલિટીવાળી ફિલ્મો છે જે દર્શકોને આવતા વર્ષે જોવા મળશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here