‘ભારતની ટીમ કોલંબો સિવાય બીજે ક્યાંય પણ નહીં રમે’

0
146

વરસાદના ઓછાયા હેઠળ રમાઈ રહેલી એશિયા કપ ક્રિકેટ સિરીઝમાં હવે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે રવિવારે કોલંબોમાં સુપર-૪ના મુકાબલામાં ઊતરવાની છે અને બીજી તરફ એશિયા કપના આયોજકો બાકી બચેલી મૅચો વરસાદના વિઘ્ન સિવાય પૂરી પાડવા માટે પુરજોશ મહેનત કરી રહ્યા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) અને બીસીસીઆઇ વચ્ચે સુપર-૪ની મૅચના સ્થળને લઈને થોડી ખટપટ થઈ છે. શ્રીલંકાનાં મુખ્ય શહેરો કોલંબો અને કૅન્ડીમાં મેઘરાજા ત્રાટક્યા હોવાને કારણે આયોજક શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સુપર-૪ અને ફાઇનલની મૅચો હમ્બનટોટામાં રમાડવા ઇચ્છતું હતું. હમ્બનટોટામાં અન્ય શહેરોના મુકાબલે વરસાદની શક્યતા નહીંવત્ હોવાથી ત્યાં બાકી બચેલી ટુર્નામેન્ટ સફળતાપૂર્વક થઈ શકે એમ હતી, પરંતુ બીસીસીઆઇએ એસીસીને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે ટીમ ઇન્ડિયા કોલંબો સિવાય અન્ય કોઈ સ્થળે રમવા ઇચ્છતી નથી. ગ્રાઉન્ડ્સમેન આ વિશે પૂરતી તૈયારી કરી લે એવી સલાહ બીસીસીઆઇએ એસીસીને આપી હતી.