મહાઠગ કિરણના ૧૫મી એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર….

0
200

અમદાવાદ ની મેટ્રો કોર્ટમાં ગઈ કાલે મહાઠગ કિરણ પટેલને રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ અદાલતે ૧૫મી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કિરણને શુક્રવારે જમ્મુ-કાશ્મીરથી અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુરુવારે જમ્મુ-કાશ્મીરથી કિરણની કસ્ટડી મેળવી હતી.
કિરણની વિરુદ્ધ પાંચ ગુનામાં તપાસ ચાલી રહી છે. હવે રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ કિરણની આકરી પૂછપરછ કરી શકે છે. તેને જમ્મુ-કાશ્મીરથી અમદાવાદમાં લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે એક જ વાત કહેતો રહ્યો હતો કે તેણે કોઈના રૂપિયા લીધા નથી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ત્રણ વખત જમ્મુ-કાશ્મીરમાં જઈ આવ્યો છે.
ડીસીપી ચૈતન્ય માંડલિકે આ પહેલાં જણાવ્યું હતું કે કિરણની વિરુદ્ધ બંગલો પચાવી પાડવાનો કેસ છે. એ સિવાય તેની વિરુદ્ધ જેટલી અરજીઓ કરવામાં આવી છે એમાં તપાસ કરવામાં આવશે અને જરૂર પડશે તો કેસ દાખલ કરવામાં આવશે. એટલું જ નહીં, તેની મિલકત, ડિગ્રી અને સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સની પણ તપાસ કરવામાં આવશે. કિરણ પોતે કમ્પ્યુટર એન્જિનિયર હોવાનું કહે છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચને શંકા છે કે તેની ડિગ્રી ખોટી છે. કિરણની વિરુદ્ધ બાયડ, અમદાવાદ અને કાશ્મીર સહિત અનેક જગ્યાઓએ કેસ દાખલ કરવામાં આવ્યા છે.