માવઠાની અસરથી પાટનગરના વાતાવરણમાં વાદળો છવાયાં….

0
490

સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેની અસર ગાંધીનગર શહેર અને જિલ્લા ઉપર પણ વર્તાઇ હોય તે પ્રકારે બુધવારે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હાલમાં શિયાળાના દિવસો ચાલી રહ્યાં છે ત્યારે વાદળો છવાતાં લોકોને ચોમાસાની મોસમ જેવો અહેસાસ કરવો પડયો હતો. સમગ્ર દિવસ દરમિયાન ગાંધીનગર શહેર અને જિલ્લાના આકાશમાં વાદળો છવાઇ ગયા હતા. તાપમાનના પારામાં વધારો થવા છતાં ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવા પામ્યું હતું.

સમગ્ર રાજ્યમાં હાલ શિયાળાની મોસમ પૂર્ણ રૃપે જામી હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાતાં તીવ્ર બની રહેલી ઠંડીનો સામનો પણ લોકો કરી રહ્યાં છે. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં માવઠું પડવાની સંભાવના પણ વ્યક્ત કરાઇ છે ત્યારે બદલાયેલા હવામાનની અસર રાજ્યના પાટનગર ઉપર પણ જોવા મળી હોય તેમ બુધવારે વહેલી સવારથી જ વાદળો છવાઇ ગયા હતા. જેની અસર સમગ્ર દિવસ દરમિયાન અનુભવવા મળી હતી. ઠંડીના દિવસોમાં વાદળો છવાઇ જતાં ચોમાસા જેવો માહોલ પાટનગરના આકાશમાં સર્જાયો હતો. તો બીજી તરફ તાપમાનના પારામાં પણ બુધવારે વધારો નોંધાયો હતો પરંતુ જે પ્રકારે શહેર અને જિલ્લાના આકાશમાં વાદળો છવાઇ ગયા હતા જેના પગલે ઠંડીનું પ્રમાણ યથાવત રહેવા પામ્યું છે. મંગળવારે ઠંડીનો પારો ૧૬.૩ ડિગ્રીએ નોંધાયો હતો. જેમાં વધારો નોંધાતાં બુધવારે ૧૬.૪ ડિગ્રીએ આવીને અટક્યો હતો. ત્યારે વાદળો દુર થયા બાદ તીવ્ર ઠંડી પડશે તેવી આગાહી પણ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણની અસર જનજીવન ઉપર પણ જોવા મળી હતી. તો બીજી તરફ દિવસ દરમિયાન ઠંડીનો સામનો પણ નગરજનોને કરવો પડયો હતો તો સાંજના સમયે પાટનગરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here