હરિપ્રસાદ સ્વામીની રવિવારે બપોરે બે કલાકે અંત્યેષ્ટિ

0
477

યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીનાં અંતિમ દર્શન માટે દેશ-વિદેશથી ભક્તોનો અવિરત પ્રવાહ આજે ચાલુ રહ્યો હતો. આજે દર્શનનો છેલ્લો દિવસે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિત વિવિધ સંપ્રદાયના સાધુ-સંત સહિત અનેક મહાનુભાવોએ આજે દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ શોકસંદેશ પાઠવ્યો હતો. આવતીકાલે તા.૩૧ના રોજ સવારથી જ અંત્યેષ્ટિ માટેની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવશે. અંત્યેષ્ટિની આ શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવવામાં આવશે. રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ. વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી મુખ્ય પુરોહિત રહેશે.
અંત્યેષ્ટિ વિધિ અંગે વાત કરતાં કૌશિકભાઈ શાસ્ત્રીએ જણાવ્યું છે કે, શાસ્ત્ર કથન અનુસાર મનુષ્ય જીવનમાં સોળ સંસ્કાર કરવાના હોય છે. જેમાં અંતિમ સોળમો સંસ્કાર અંત્યેષ્ટિ છે. જે દેવઋણ, મનુષ્યઋણ અને ગુરૂઋણમાંથી મુક્તિ અપાવે છે. પરમ પૂજ્ય સ્વામીના અંત્યેષ્ટિ સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ થશે. દેશભરની પવિત્ર નદીઓ તેમજ ભગવાન સ્વામિનારાયણે જે જળાશયોમાં સ્નાન કરેલું તેનાં જળથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજના દિવ્ય વિગ્રહ પર અભિષેક કરવામાં આવશે. શાસ્ત્રોક્ત મંત્રોના ગાન વચ્ચે વડીલ સંતો દ્વારા આ અભિષેક થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here