હાર્દિક પટેલને વિરમગામથી ચૂંટણી લડાવશે બીજેપી

0
179

રાજકારણમાં ક્યારેય કોઈ દુશ્મન કે દોસ્ત નથી હોતું એ હાર્દિક પટેલના કિસ્સા પરથી વધુ એક વાર સાબિત થયું છે. ગુજરાતમાં પાટીદાર આંદોલનમાં બીજેપી સરકાર સામે લડેલા પાટીદાર યુવા નેતા અને કૉન્ગ્રેસમાંથી બીજેપીમાં જોડાયેલા હાર્દિક પટેલને બીજેપી વિરમગામથી ચૂંટણી લડાવવા માટે આ બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે.
સૌ જાણે છે એ પ્રમાણે પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલે ગુજરાતમાં બીજેપી સરકાર સામે બાંયો ચડાવી હતી અને આંદોલન કર્યું હતું, જેમાં ૧૪ પાટીદાર યુવાનો શહીદ થયા હતા. હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ પણ થયો છે. જોકે એ દરમ્યાન હાર્દિક પટેલ કૉન્ગ્રેસમાં જોડાયો હતો, અને રાહુલ ગાંધી સાથે નિકટતા હોવાથી પક્ષમાં તેનો દબદબો રહ્યો હતો, પરંતુ ગુજરાતમાં આ વખતે રેકૉર્ડબ્રેક વિજય મેળવવા માટે બીજેપીએ ઘડેલી રણનીતિમાં હાર્દિક પટેલ બીજેપીની ફ્રેમમાં આવતો હોવો જોઈએ અને એટલે જ બીજેપીએ હાર્દિક પટેલની હરકતોને ભૂલી જઈને તેને તેમના પક્ષમાં વિધિવત્ સામેલ કર્યો હતો અને તેને વિરમગામ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યો છે.