ઈરાનમાં બંધક બનાવાયેલું ગુજરાતી પટેલ દંપતી ભારત પહોંચ્યું…

0
168

ગેરકાયદેસર અમેરિકા જવા નીકળેલું ગુજરાતી દંપતીનું ઈરાનમાં અપહરણ કરાયુ હતું. જેમને ગઈકાલે રથયાત્રાના દિવસે અપહરણકારોના ચુંગલમાંથી છોડાવાયા હતા. ગુજરાત સરકારના પ્રયાસોથી RAW અને IB ની ટીમે ઓપરેશન ચલાવી પટેલ દંપતીને છોડાવ્યા હતા. ત્યારે હેમખેમ છુટેલું પટેલ દંપતી ભારત આવી પહોંચ્યુ છે. મુંબઈ એરપોર્ટ પર વહેલી સવારે તેઓ આવી પહોંચ્યા હતા. હવે મુંબઈથી અમદાવાદ આવવા રવાના કરાશે. પીડિતના પરિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનો આભાર માન્યો હતો. જે યુવકનો વીડિયો સામે આવ્યો છે, તેનુ નામ પંકજ પટેલ છે. તેના સગા ભાઈ સંકેત પટેલે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકમાં અરજી કરી કે, તેના ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ સાથે રૂ.1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. એજન્ટે એવુ કહ્યું હતું કે તેમના ભાઈ ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે. આવામાં હવે અમેરિકા પહોંચતા પહેલતા જ તેમના ભાઈ-ભાભીનુ ઈરાનમાં અપહરણ થયું હોય તેવું લાગે છે. પાકિસ્તાની એજન્ટે ઈરાનની તહેરાનની હોટલમાં અમદાવાદના પટેલ દંપતીને બંધક બનાવ્યું હતું.દંપતીને છોડાવવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગંભીરતા દાખવી હતી. એક તરફ અમદાવાદ પોલીસ રથયાત્રાની તૈયારીમાં વ્યસ્ત હતી, છતાં વિદેશ મંત્રાલય, ઈન્ટરપોલ, ઈરાન ખાતેના રાજદૂતનો સંપર્ક કરાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટેમ હાઈલેવલ ડેડીકેટેડ ટીમ દ્વારા તપાસ કરાવી હતી. વિદેશ મંત્રાલય, સેન્ટ્રલ આઈબી, રો, ઈન્ટરપોલ તમામનો સંપર્ક કરાયો હતો. હર્ષ સંઘવી રાતે 3.30 સુધી પંકજ પટેલના પરિવાર સાથે રહ્યા હતા. આખરે તહેરાનથી અપહરણકારોની ચુંગલમાંથી દંપતીને મુક્ત કરાવાયા હતા.