જિલ્લામાં છ મહિના કે વર્ષથી અનાજ નહીં લેનાર 8027 રેશનકાર્ડ બ્લોક

0
782

રાજય સરકાર દ્વારા નેશનલ ફુડ સિક્યોરીટી એકટ હેઠળ આવતાં રેશનકાર્ડ ધારકોને સમયાંતરે અનાજ સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવતી હોય છે ત્યારે જિલ્લામાં છેલ્લા છ મહિના કે ૧ર મહિના દરમ્યાન આ કેટેગરીમાં આવતાં રેશનકાર્ડ ધારકોએ કોઈ લાભ નહીં લેતાં આવા ૮૦૨૭ જેટલા જિલ્લાના એનએફએસએ રેશનકાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. આગામી તા.૩૧ ઓગસ્ટ સુધીમાં મામલતદાર અથવા ઝોનલ કચેરીમાં આ રેશનકાર્ડ ધારકોએ પરિવારની વિગતો સાથે રજુઆત કરવાની રહેશે અને ત્યારબાદ ૧ સપ્ટેમ્બરથી તેમનો પુરવઠો યથાવત કરવામાં આવશે.

રાજયમાં ૧ એપ્રિલ ૨૦૧૬થી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-ર૦૧૩ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે ર૦૧૮થી આધારકાર્ડના આધારે લાભાર્થીઓની ઓળખ કરી લાભ આપવામાં આવી રહયો છે. ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાના સ્થિતિના કારણે કાર્ડધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશનનો લાભ આપવામાં આવતો હતો. ત્યારે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા છ કે બાર મહિનાથી કોઈપણ પધ્ધતિથી રેશનકાર્ડ નહીં મેળવનાર આવા રેશનકાર્ડ ધારકોને સાયલન્સ રેશનકાર્ડ ધારક તરીકે શોધી કાઢવામાં આવ્યા છે. આવા રેશનકાર્ડધારકોને હાલ પુરતાં તંત્ર દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા છે જેથી ઓફલાઈન કે ઓનલાઈન કોઈપણ પ્રકારે તેમને રાશન આપવામાં આવશે નહીં. આવા રેશનકાર્ડધારકોને હાલ રદ કરવામાં આવ્યા નથી ત્યારે છ મહિના કે એક વર્ષ દરમ્યાન રાશન નહીં લેનાર આ કાર્ડધારકોએ સંબંધિત મામલતદાર કચેરી કે ઝોનલ કચેરીનો સંપર્ક કરીને સભ્યોના નામ, હયાતી, આધારકાર્ડ નંબર, બેન્ક ખાતા નંબર, મોબાઈલ નંબર જેવી વિગતો આપવાની રહેશે ત્યારબાદ પુરવઠા તંત્રને આ વીગતો મળ્યા બાદ તા.૩૧ ઓગસ્ટ સુધીમાં કામગીરી પૂર્ણ કરીને ૧ સપ્ટેમ્બરથી સાયલન્સ રેશન કાર્ડને રદ કરી ફરીથી નેશનલ ફુડ સિકયોરીટી એકટમાં સમાવી લેવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં બ્લોક કરી દેવાયેલા આ કાર્ડ ઉપર નજર કરીએ તો કલોલ તાલુકામાં છ મહિનામાં રાશન નહીં લેનાર ૧૬૬૯, બાર મહિના સુધીના ૩૩૯, ગાંધીનગરમાં ૧૪૧૬ અને ૩૩૩, દહેગામમાં ૧૫૪૦ અને ૪૯૮ તેમજ ગાંધીનગર ઝોનલમાં ૩૫૬ અને ૪પ મળી કુલ ૮૦૨૭ જેટલા રેશનકાર્ડ સાયલન્ટ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here